આદિપુરમાં આહિર દાતાએ બ્રહ્મ સમાજના 102 લગ્ન કરાવ્યા:કચ્છમાં પ્રથમવાર એક દાતાના સહયોગથી ઐતિહાસિક આયોજન થયું

કચ્છ જિલ્લાના આદિપુર ખાતે આહિર સમાજના દાનવીર બાબુભાઈ ભીમાભાઈ હુંબલ દ્વારા બ્રહ્મ સમાજના પરિવારો માટે વિશાળ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલની પ્રેરણાથી યોજાયેલા આ ધાર્મિક અને સામાજિક પ્રસંગે બ્રહ્મ સમાજની કુલ 102 દીકરીઓનું કન્યાદાન સંપન્ન થયું. કચ્છમાં એક જ સ્થળે બ્રહ્મ સમાજના આટલા મોટા પાયે સમૂહ લગ્ન પ્રથમ વખત યોજાયા હોવાનો ઈતિહાસ રચાયો.

આ સ્મરણિય અવસરે 102 નવદંપતીઓએ વૈદિક શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પવિત્ર લગ્નબંધનમાં પ્રવેશ કર્યો હતો. સાથે જ 168 બટુકોએ યજ્ઞોપવીત સંસ્કાર ધારણ કર્યો. સમગ્ર વૈવાહિક વિધિ આચાર્ય શાસ્ત્રી કપિલ ત્રિવેદી, સહયોગી વિનોદચંદ્ર જે. રાવલ અને દીપકભાઈ રાવલ દ્વારા શાસ્ત્રોક્ત રીતે સંપન્ન કરાવવામાં આવી.

પ્રસિદ્ધ ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા, જીગ્નેશ દાદા સહિત અનેક વિદ્વાન કથાકારો, સંતો અને મહંતોએ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા. આ કાર્યક્રમમાં રાજકીય, સામાજિક અને ઔદ્યોગિક ક્ષેત્રના અનેક અગ્રણીઓની વિશેષ હાજરી રહી. વહેલી સવારથી જ કચ્છ ઉપરાંત ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને બિહારના અનેક યજમાન પરિવારો લગ્નવિધિમાં જોડાયા હતા. અંદાજે 25 હજારથી વધુ લોકોએ આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવાનો અવસર મેળવ્યો.

સમૂહ લગ્નોત્સવની સમગ્ર વ્યવસ્થા દાતા પરિવાર તથા કચ્છ બ્રહ્મ સમાજના માર્ગદર્શન હેઠળ વિવિધ સમિતિઓ દ્વારા સુચારુ રીતે સંભાળવામાં આવી. આ ભવ્ય આયોજન બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા સહિત રાજ્યના અનેક મંત્રીઓએ શુભેચ્છા પાઠવી હતી. એડવોકેટ અને નોટરી કથાકાર દિનેશચંદ્ર જે. રાવલે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું. દાતા પરિવાર તરફથી બાબુભાઈ ભીમાભાઈ હુંબલ, જખાભાઈ હુંબલ અને બહેન જખુબેન ગગુભાઈ મ્યાત્રા (શ્રી રામ સોલ્ટ) દ્વારા તમામ સહયોગીઓ, યજમાન પરિવારો અને ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

Leave a Comment