આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા ક્ષેત્રમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારના અવસાન પછી બેઠક ખાલી થઈ હતી. આજે આ બેઠક માટે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. આશરે 2.45 લાખ જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
આ ચૂંટણી માટે કુલ 306 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે, જ્યાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો લાંબી લાઈનોમાં ઉભા રહીને મતદાન કરી રહ્યા છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે.
જિલ્લા કલેક્ટર અનુસાર, 33 મતદાન મથકો પર સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) તૈનાત કરવામાં આવી છે, જ્યારે 60 જેટલા બુથને સંવેદનશીલ તરીકે ઓળખવામાં આવ્યા છે. તમામ મતદાન મથકો પર 100 ટકા વેબકાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે અને અંદર-બહાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. કંટ્રોલ રૂમ મારફતે સમગ્ર પ્રક્રિયા પર સતત નજર રાખવામાં આવી રહી છે.
આ ઉપરાંત, 105 અશક્ત મતદારો માટે હોમ વોટિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મતદાન દરમિયાન ટેક્નિકલ કારણોસર પાંચ ઈવીએમ મશીનો બદલી પાડવામાં આવી હતી. ગરમીને ધ્યાનમાં રાખીને મતદારો માટે જરૂરી સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે.
ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે મતદાન પહેલા પોતાના સ્વર્ગસ્થ પિતા ગોવિંદ પરમારને શ્રદ્ધાંજલિ અર્પી અને ત્યારબાદ મંદિર જઈ પૂજા અર્ચના કરી. તેમણે જણાવ્યું કે, તેઓ પોતાના પિતાની પરંપરા જાળવી રહ્યા છે અને વિસ્તારના પ્રશ્નોના ઉકેલ માટે પ્રતિબદ્ધ છે. તેમણે ઉલ્લેખ કર્યો કે ઉમરેઠમાં GIDC હોવા છતાં ઉદ્યોગોના વિકાસની જરૂર છે.
ઉમરેઠના ચિખોદર ગામમાં પણ મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં એનસીપીના જયંત બોસ્કીએ મતદાન કરીને લોકોને મત આપવા અપીલ કરી હતી. ચૂંટણી નિરીક્ષકો દ્વારા વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈને વ્યવસ્થાનો સમીક્ષા કરવામાં આવી હતી અને મતદારોની લાઈનો સુવ્યવસ્થિત રહે તે માટે સૂચનાઓ આપવામાં આવી હતી.