નરોડામાં અગરબત્તીના કારખાનામાં લાગી ભયાનક આગ : ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે

અમદાવાદ ફાયર ઘટના – નરોડામાં મધરાતે આગનો હાહાકાર

અમદાવાદના નરોડા વિસ્તારમાં મધરાતે આગ લાગવાની ગંભીર ઘટના બહાર આવી છે. મુક્તિધામ નજીક આવેલા અમરનાથ એસ્ટેટની અંદર આવેલ અગરબત્તી બનાવતી એક યુનિટમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગ એટલી જલદી ફેલાઈ ગઈ કે ક્ષણોમાં આખું કારખાનું જ્વાળામાં ઘેરાઈ ગયું અને નજીકમાં રહેતા લોકોને પણ ભયનો માહોલ સર્જાયો.

કારખાનામાં લાગી આગ — ફાયર બ્રિગેડનો મક્કમ પ્રયાસ

મળતી પ્રાથમિક માહિતી મુજબ રાત્રે લગભગ 11:30 વાગ્યે આ આગ લાગી હતી. ઘટના અંગે કંટ્રોલરૂમને જાણ થતાં જ ફાયર બ્રિગેડની લગભગ નવ ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ત્યાં પહોંચતા સુધી આગ ભારે વિકરાળ બની ગઈ હતી, જેને નિયંત્રણમાં લેવા માટે લાંબા સમય સુધી કામગીરી કરવી પડી.

આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો

આગ લાગતા કારખાનામાંથી ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઊઠતા નજરે પડ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગના કારણે કારખાનામાં ભારે નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ અત્યાર સુધી પ્રાપ્ત થયા નથી.

આગ લાગવાના કારણ હજુ અકબંધ!

આગ કેવી રીતે લાગી તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. હાલ ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા આગ લાગવાના કારણો જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. આગ પર કાબૂ મળ્યા બાદ નુકસાનનો સાચો આંક જાણવા મળશે.

Leave a Comment